#studioflash #dharampur #Abhinathdev
અભિનાથ દેવ (વરસાદી દેવ) - પીપરોળ , ધરમપુર
આધુનિક યુગમાં જ્યારે 'ઈન્ફર્મેશન ટેકનોલોજી' અને સોશિયલ મિડિયા એ જનજીવન ને પ્રભાવિત કર્યુ છે ત્યારે ધરમપુરના ઊંડાણના ગ્રામ્ય વિસ્તારોમાં હજુ પણ એવી આદિવાસી પ્રજા વસવાટ કરે છે જેઓ સાંપ્રત પ્રવાહોથી અલિપ્ત રહી આજુબાજુના ભૌગોલિક પ્રદેશ અને પ્રકૃતિ સાથે તાદાત્મ્ય જાળવી રાખી જીવન વ્યતીત કરે છે. ધરમપુરના ગ્રામ્ય વિસ્તારોમાં જરૂરી સિંચાઈ વ્યવસ્થાના અભાવે કૃષકે પાકની સફળતા કે નિષ્ફળતા માટે સંપૂર્ણ આધાર જે તે વર્ષે પડતા વરસાદ ઉપર જ રાખવો પડે છે. કોઈક વર્ષે વરસાદ પુષ્કળ પ્રમાણમાં પડે છે. કોઈક વર્ષે નહિવત. પ્રકૃતિના આ ક્યારેક આશીર્વાદ સમાન તો ક્યારેક શ્રાપરૂપ સ્વરૂપની અસર માત્ર કૃષિ ઉપર જ નહિ , પરંતુ એમના જીવનની તમામ સામાજીક, આર્થિક અને ધાર્મિક ગતિવિધિઓ ઉપર પણ પડે છે.
ધરમપુરના આદિવાસી સમાજ અને પ્રકૃતિ વચ્ચે અનંતકાળથી ચાલી આવતા ઘનિષ્ઠ સંબંધોનું પ્રતિક એટલે ધરમપુરથી વિલ્સન હિલ તરફ જતાં માર્ગ ઉપર આવેલ પીપરોળ ગામનું અભિનાથ દેવનું મંદિર. ધરમપુરની આજુબાજુના આદિવાસી સમાજના જીવનમાં પ્રકૃતિ અતિ મહત્વનું સ્થાન ધરાવે છે. પ્રકૃતિ માત્ર પાશ્વભૂ તરીકે ન આવતા એને એક દૈવી તત્ત્વ તરીકે પૂજવામાં આવે છે. અભિનાથ દેવના આ મંદિરની વિશેષતા એ છે કે એના બાંધકામમાં પ્લાસ્ટિક,ખીલી કે સિમેન્ટ જેવા પ્રકૃતિને પ્રદૂષિત કરતા હાનિકારક તત્ત્વો નો ઉપયોગ ન કરતા માત્ર એ કાષ્ટ અને વેલાનું જ બનેલું છે. ધરમપુરના ગ્રામ્ય વિસ્તારો માં જ્યારે પણ અતિવૃષ્ઠિ કે અનાવૃષ્ઠિ સર્જાય છે ત્યારે પ્રકૃતિના એ વિનાશકારી સ્વરૂપ સામે રક્ષણ મેળવવા સ્થાનિક આદિવાસીઓ અભિનાથ દેવના શરણે જાય છે. અને એમના પૂજા-અર્ચન કરે છે. અહીંના અબુધ ખેડૂતો આધુનિક વૈજ્ઞાનિક પધ્ધતિથી વંચિત હોવાને લીધે એમની ખેતી સામે અનેક ભયસ્થાનો રહેલા છે. આથી એમને મહામહેનતે ઉગાડવામાં આવેલ પાકના રક્ષણ માટે અભિનાથ દેવનો જ સધિયારો છે.
દશેરાના દિવસે વર્ષમાં એક વાર અભિનાથ દેવની પૂજાવિધીની પરંપરા છે, પરંતુ એ પૂજાવિધીનો અધિકાર માત્ર અંતરિયાળ ગામડાંના 'કામડી' નામે ઓળખાતા ભગતો જ ધરાવે છે. માનવામાં આવે છે કે ધરમપુરના રજવાડાના સમયથી આ પરંપરા ચાલી આવે છે. દશેરાના દિવસે રાઉત કુટુંબના વંશજો દ્વારા દેવની પાઘડી બદલવામાં આવે છે. આ વિધીને 'મોટી પૂજા' કહેવામાં આવે છે જેમાં ગુજરાતના આહવા,ડાંગ જેવા અંતરિયાળ જંગલ વિસ્તારના આદિવાસીઓ ઉપરાંત મહારાષ્ટ્રના અભિનાથ દેવના શ્રધ્ધાળુઓ આસ્થાથી હાજરી આપે છે.
સંગીત, કલા, નૃત્ય એ ધરમપુરના આદિવાસી ઓનો અમૂલ્ય સાંસ્કૃતિક વારસો છે જેનું વર્તમાન સમયમાં પણ જતન કરવામાં આવ્યું છે. 'મોટી પૂજા'ના અંતે તારપાના સુમધુર સંગીતે આદિવાસી સ્ત્રીઓ નૃત્ય કરે છે અને આ પવિત્ર પરંપરાને કલાત્મક ઓપ આપે છે. - ડૉ. ચંદ્રહાસ નાયક
Негізгі бет Abhinath Dev | Varsadi Dev | Piprol | Studio Flash
Пікірлер: 16